ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત સૌરાષ્ટ્ર ઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે આપદામિત્ર તાલીમ શિબિર યોજાશે
શારીરિક ક્ષમતા વધે અને સાહસિકવૃત્તિ તેમજ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર,વાવાઝોડું,આગ,ભૂકંપ જેવી કુદરતી/કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા,જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ શિબિર પાંચ દિવસની નિવાસી શિબિર રહેશે. આ તાલિમ શિબિરમાં એન.સી.સી.,એન.એસ.એસ, રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
ભાગ લેવા ઇચ્છૂક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, ઈણાજ, તા. વેરાવળ ખાતે અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ પ્રમાણિત કરી તા. ૦૩/૧૦/૨૦૨૫ સુધીમાં અરજી ફોર્મ કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ