પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં બિંદુ સરોવર ફાટક નજીક રેલવે અંડરપાસનું કામ હજુ સુધી શરૂ ન થતાં સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી સામે વિરોધ નોંધાવ્યો. નગરપાલિકા દ્વારા ₹2.97 કરોડના ખર્ચે આ અંડરપાસ મંજૂર કરાયો હોવા છતાં હજુ સુધી કામગીરી શરુ નથી થઈ.
બિંદુસરોવર અને શંકરપુરા વિસ્તારના લોકો અને બાળકો રેલવે ટ્રેક પાર કરતી વખતે જીવના જોખમે પસાર થાય છે, કારણ કે સલામત રસ્તો ઉપલબ્ધ નથી. થોડા સમય અગાઉ જ રેલવે પાટા પાર કરતી એક મહિલાનું દુર્ઘટનામાં મોત થયું હતું. આ ઘટનાને પગલે રહીશોએ 'નગરપાલિકા હાય હાય'ના નારા લગાવતાં અંડરપાસની તાત્કાલિક માગ ઉઠાવી.
નગરપાલિકાના અધિકારીઓએ રહીશોને ખાતરી આપી છે કે અંડરપાસ માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કામ શરૂ નહીં થાય, તો સ્થાનિકોએ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ