સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની સગીર પુત્રીને સ્થાનિક બે મહિલાઓ અને એક પુરૂષ દ્વારા લલચાવી - ફોસલાવી સાથે લઇ જવામાં આવી હતી. બાદમાં સગીરાને નશાકારક સીરપ પીવડાવી તેણીને ઘેનમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓ દ્વારા અજાણ્યા હિન્દૂ યુવક સાથે સગીરાનાં લગ્ન કરાવવામાં આવ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક લોકોમાં આ વાતને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા મોડી રાત્રે ડીસીપી ડો. કાનન પણ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક તબક્કે ઘટનાની માહિતી એકત્રિત કરવાની સાથો સાથ સગીરાના નિવેદનો લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સગીરાને લલચાવી ફોસલાવી લઇ જનારી ગેંગના ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના ક્રાંતિનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની આશરે 15 વર્ષીય સગીરાએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું, તેમના જ વિસ્તારમાં રહેતી નુરી તથા ફજજો નામની બે મહિલાઓ અને એક પુરુષ દ્વારા કેટરિંગના કામના બહાને લલચાવી ફોસલાવી તેણીને સાથે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ તેણીને કોરેક્સ સીરપ પીવડાવી ઘેનમાં રાખવામાં આવી હતી. દિવસમાં બેથી ત્રણ વખત તેણીને આ રીતે નશાકારક સીરપ પીવડાવવામાં આવતી હતી. જેને કારણે તે ઘેનમાં રહેતી હતી. આ દરમિયાન સગીરાનાં કોઈ અજાણ્યા પુરૂષ સાથે લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા. જો કે સગીરા જેમ તેમ પોતાના ઘરે પરત પહોંચી અને ત્યાર બાદ હિચકારી ઘટના અંગે પોતાની માતા સમક્ષ વ્યથા ઠાલવી હતી. એટલું જ નહીં આ વાત કેટલાક સ્થાનિક અગ્રણીઓ પણ ખબર પડી હતી. પીડિત સગીરાના કોઈ હિન્દૂ યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હોવાની વાતને લઈને સ્થાનિક અગ્રણીઓમાં રોષ ભભૂક્યો હતો અને મોડી રાત્રે તેઓ લિંબાયત પોલીસ મથકે પહોંચી ગયા હતા. આ સિવાય જયારે આ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ મથકના પીઆઇ કામલીયા સહિત પોલીસ કાફલો પણ દોડતો થઇ ગયો હતો અને ડીસીપી ડો. કાનન દેસાઈ પણ તાતકાલિક લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓએ આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને પોલીસને આ કૃત્યમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા અને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. પોલીસે આ કેસમાં હાલમાં બે મહિલા અને એક પુરૂષની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે અને સગીરાના નિવેદનો લઈને એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સગીરાને બે વખત વેચવામાં આવી હોવાનો ઘટસ્ફોટઃ પીઆઈ કામળિયા
લિંબાયતમાં પરિવાર સાથે રહેતી સગીરાને નશાકારક કફશિરપ પિવડાવ્યા બાદ તેનાં બળજબરી પૂર્વક લગ્ન કરાવવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટના અંગે જાણ થતાં જ તપાસમાં જોતરાયેલા પોલીસ ઈન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પીડિત સગીરા આશરે 15 વર્ષની છે અને તેને અગાઉ પણ બે વખત વેચવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી એક વાર સગીરાને મહારાષ્ટ્રમાં વેચવામાં આવી હતી. અલબત્ત, હાલમાં ફરિયાદ દાખલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સગીરાને વેચનાર ગેંગની બે મહિલા અને પુરૂષની અટકાયત બાદ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ટોળકીએ પીડિતાનાં બે વખત લગ્ન કરાવ્યા હતાઃ અસલમ સાયકલવાલા
પૂર્વ કોર્પોરેટર અને સામાજીક અગ્રણી અસલમ સાયકલવાલાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો દ્વારા તેઓને ઘટના અંગે જાણ થઈ હતી. જેને પગલે તેઓ સગીરા અને તેની માતાની મુલાકાત લીધી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પરિવારજનોની આપવીતિ સાંભળ્યા બાદ જાણવા મળ્યું હતું કે મહિલા અને એક પુરૂષ દ્વારા સગીરાના એક મુસ્લિમ યુવક સાથે નિકાહ કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ એક વખત હિન્દુ યુવક સાથે મંદિરમાં સગીરાનાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. અસલમ સાયકલવાલા જાતે લીંબાયત પીઆઇ કામળીયાને મળ્યા હતા અને તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી, આખી હકીકત તેમના ધ્યાને લાવવામાં આવી હતી.
ટોળકીએ અન્ય યુવતીઓને પણ શિકાર બનાવી હોવાની પ્રબળ આશંકા
લિંબાયતમાં ક્રાંતિનગરમાં રહેતી સગીરાને લલચાવી - ફોસલાવીને હિન્દુ યુવક સાથે લગ્ન કરાવવાની ઘટનાને હાલમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં સંડોવાયેલ એક મહિલા સહિત દંપતિની હાલમાં અટકાયત બાદ પ્રાથમિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ ટોળકી દ્વારા વિસ્તારમાં અન્ય યુવતીઓ - સગીરાઓને પણ રૂપિયાની લાલચ આપી આ પ્રકારનાં ગોરખધંધામાં સંડોવવામાં આવી હોવાની આશંકાઓ છે. જેને પગલે પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં આવે તો ટોળકી દ્વારા અન્ય કેટલી યુવતીઓને શિકાર બનાવવામાં આવી છે તેનો પણ ખુલાસો થઈ શકે છે.
પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા
કેટરિંગમાં કામ કરતી માત્ર 15 વર્ષીય સગીરાનો સંપર્ક તેનાં જ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ સાથે થયા બાદ સગીરાનું જીવન દુઃસ્વપ્ન બની ચુક્યું છે. શરૂઆતમાં મીઠી મીઠી વાતોમાં ભોળવ્યા બાદ સગીરાને કફશિરપનાં નશામાં અલગ - અલગ જગ્યાએ લગ્ન કરાવવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે હવે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા સગીરાનાં મેડિકલ રિપોર્ટ બાદ વધુ ચોંકાવનારા ખુલાસાની પણ પ્રબળ શક્યતાઓને ધ્યાને રાખીને લગ્ન કરનાર યુવકોમાં પણ હાલનાં તબક્કે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ તપાસનાં ધમધમાટ વચ્ચે આ સમગ્ર પ્રકરણમાં અનેક નવા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે