લેહ, નવી દિલ્હી,
26 સપ્ટેમ્બર (હિ.સ.) લેહમાં હિંસા પછી પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.
કેટલાક વિસ્તારોમાં, જિલ્લામાં લાદવામાં આવેલા પ્રતિબંધો આંશિક રીતે હળવા કરવામાં
આવ્યા છે, પરંતુ સંવેદનશીલ
વિસ્તારોમાં કડક પ્રતિબંધો યથાવત છે. જો પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહેશે, તો સોમવારથી
શાળાઓ અને કોલેજો ફરી ખુલવાની અપેક્ષા છે.
અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે,” સામાન્ય જીવન
પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને બધા વિસ્તારોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયા પછી તબક્કાવાર
રીતે પ્રતિબંધો સંપૂર્ણપણે, હટાવી લેવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોની
ધરપકડ કરી છે. અટકાયતમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે, શું
કોઈ બાહ્ય એજન્સીએ અશાંતિ ભડકાવવામાં ભૂમિકા ભજવી હતી. પૂછપરછથી એ નક્કી કરવામાં
મદદ મળશે કે આ ઘટનાઓ પાછળ કોઈ સંગઠિત બળ હતું કે નહીં.”
આ અઠવાડિયાની શરૂઆતમાં લેહમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર
લોકો માર્યા ગયા હતા અને ડઝનબંધ, સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. ટોળાએ સરકારી
કચેરીઓ પર હુમલો કર્યો, વાહનોને આગ ચાંપી
અને પોલીસ સાથે અથડામણ કરી. ત્યારથી પરિસ્થિતિ તંગ રહી છે, પરંતુ સુરક્ષા
દળોની સતત તૈનાતી અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક દેખરેખ સાથે પરિસ્થિતિ
નિયંત્રણમાં છે.
દરમિયાન, શુક્રવારે કારગિલમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ, જેમાં એક દિવસ
પહેલા સંપૂર્ણ બંધ રહ્યા બાદ, બજારો ફરી ખુલી ગયા. જિલ્લામાં સામાન્ય જીવન પાછું
ફરવાનો સંકેત આપતા, દુકાનો અને
વ્યાપારિક સંસ્થાઓ રાબેતા મુજબ ખુલી ગઈ. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ
મીડિયા પર અફવાઓ અથવા ઉશ્કેરણીજનક સામગ્રીથી પ્રભાવિત ન થવા અપીલ કરી છે. તેમણે
જણાવ્યું હતું કે,” લદ્દાખમાં શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને વ્યાપારિક સંસ્થાઓનું સુગમ
સંચાલન સુનિશ્ચિત કરવું એ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ