મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાતમાં વિસરતી-વિમુક્ત જાતિના સમાજો દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓ માટે રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં આશરે 1 કરોડ 25 લાખ જેટલી વસ્તી ધરાવતા આ સમાજો આઝાદીના 78 વર્ષ પછી પણ વિકાસથી વંચિત રહ્યા છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર તેમજ તાલુકા મામલતદારોને આ આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા હતા.
સમાજના આગેવાનો દ્વારા જણાવાયું કે તેમની કુલ 12 મુખ્ય માંગણીઓ છે, જેમાં સૌથી અગત્યની માંગ ઓબીસી વર્ગીકરણમાં વિસરતી-વિમુક્ત જાતિઓને 11% અનામત આપવાની છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને સામાજિક સુરક્ષા જેવી સુવિધાઓમાં વિશેષ પ્રાથમિકતા આપવાની માગ પણ રજૂ કરાઈ છે. સમાજના કાર્યકરો અને આગેવાનોનું કહેવું છે કે સરકાર દ્વારા યોગ્ય નીતિ અપનાવવામાં આવશે તો આ સમાજોના બાળકોને શિક્ષણ અને રોજગારીમાં સારો લાભ મળી શકશે. સાથે જ પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવી શકાશે.
આજના આંદોલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને નારા સાથે પોતાના હક્ક માટે અવાજ ઉઠાવ્યો હતો. આવેદનપત્ર સ્વીકારતા અધિકારીઓએ માંગણીઓને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR