મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં બે દિવસીય નવરાત્રિ મહોત્સવ *‘થનગનાટ-2025’*ની ભવ્ય શરૂઆત થઈ છે. 25-26 સપ્ટેમ્બરના આ મહોત્સવમાં પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓ અને ખેલૈયાઓએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી. યુનિવર્સિટી તથા તેની સંલગ્ન સંસ્થાઓના 10,000થી વધુ વિદ્યાર્થીઓએ પરંપરાગત ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઈ રંગીન વાતાવરણ સર્જ્યું. ડ્રોન કેમેરામાં કેદ થયેલા ગોળાકાર માનવ સાંકળના દૃશ્યો સૌનું આકર્ષણ બન્યા.
યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશપટેલે જણાવ્યું કે આ મહોત્સવ માત્ર એક ઉજવણી નથી, પરંતુ યુવાનોમાં લોકકલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટી શિક્ષણ અને આરોગ્યની સાથે ભારતીય સંસ્કૃતિના સંવર્ધનને પણ પ્રાધાન્ય આપે છે.
સુપ્રસિદ્ધ લોકગાયક મીરાંદે શાહના મધુર સૂરોએ ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા. વર્ષ 2016થી શરૂ થયેલો આ મહોત્સવ હવે ઉત્તર ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની ગયો છે.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. થનગનાટ-2025એ પરંપરા, સંગીત અને ઉત્સાહને એક મંચ પર એકત્રિત કરીને નવરાત્રિની ભવ્ય ઉજવણી કરી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR