પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના માનપુર ગામની બબુબેન તતઠાકોરને ગંભીર ધનુર રોગ (Tetanus)ને કારણે 17 જુલાઈ, 2025ના રોજ ધારપુર સરકારી હોસ્પિટલના આઇસીસીયુ(ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં દાખલ કરાયા હતા. તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક હતું, જેના કારણે ડો. મેહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. તિલકભાઈ અને ડો. યશપાલસિંહ સહિતના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
સફળતાપૂર્વક 70 દિવસ સુધી ચાલેલી સારવાર દરમિયાન આઇસીસીયુ નર્સિંગ ઈન્ચાર્જ હસમુખસિંહ, સોનલબેન, એએનએસ ડીમ્પલબેન, જશોદાબેન અને સમગ્ર નર્સિંગ સ્ટાફે દિવસ-રાત ખડેપગે રહી દર્દીની તંદુરસ્તી પર સતત નજર રાખી હતી. ક્લાસ 4ના કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફે પણ સંપૂર્ણ સહયોગ આપી હળવો કર્યો હતો.
તબીબો અને નર્સિંગ સ્ટાફની સમર્પિત ટીમના પ્રયત્નોથી બબુબેનનો ધીમે ધીમે વિકાર ઓછો થતો ગયો અને તેઓ સ્થિર સ્વાસ્થ્ય તરફ આગળ વધ્યા. સમયસરની સારવાર અને સંભાળથી તેમને નવજીવન પ્રાપ્ત થયું છે.
આ ઉમદા સેવાઓ બદલ બબુબેન અને તેમના પતિ બાવાજી ઠાકોર (પૂર્વ સરપંચ, માનપુર ગ્રામ પંચાયત)એ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પારુલ શર્મા, આરએમઓ ડો. રમેશ પ્રજાપતિ તથા સમગ્ર તબીબી ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ