અમરેલી,8 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેર હંમેશાં નવી પહેલ અને પ્રયોગોથી રાજ્ય અને દેશસ્તર સુધી આગવી ઓળખ ધરાવતું રહ્યું છે. તાજેતરમાં જ અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલી પહેલ દેશવ્યાપી ચર્ચાનો વિષય બની છે. ફાઉન્ડેશનના પ્રમુખ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. ભરત કાનાબારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “સ્વદેશી અપનાવો” સંદેશને સરળતાથી લોકો સુધી પહોંચાડવા આ અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેમ ખાદ્ય પદાર્થોમાં વેજીટેરીયન માટે લીલું અને નોન-વેજીટેરીયન માટે લાલ સિમ્બોલ લગાડવામાં આવે છે, તેમ હવે સ્વદેશી ઉત્પાદનો પર કેસરી (ભગવા) રંગનો સિમ્બોલ લગાડવામાં આવશે. આ પહેલથી ગ્રાહકોને સ્વદેશી અને વિદેશી ચીજવસ્તુઓ વચ્ચે સરળતાથી ભેદ કરી શકાશે.
ફાઉન્ડેશનના પ્રયાસોને સમર્થનરૂપ અમરેલીની શીતલ કૂલ પ્રોડક્ટ લી. કંપનીએ પોતાના 450થી વધુ પ્રોડક્ટ પર કેસરી સિમ્બોલ અને “આત્મનિર્ભર ભારત”નો લોગો લગાવવાનું શરૂ કરી દીધું છે.
અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આ ઝુંબેશને વિશાળ સ્તરે પહોંચાડવા ખાસ અભિયાન ચલાવાશે. ડો. કાનાબારે જણાવ્યું કે, “દેશના નાગરિકો સ્વદેશી વસ્તુઓને ઓળખી ખરીદી તરફ વળે, તો આ ઝુંબેશ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મોટું યોગદાન આપશે.”
અમરેલીમાંથી શરૂ થયેલી આ પહેલ હવે રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વ્યાપક પ્રભાવ છોડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai