
-બધા મૃતકો એક જ પરિવારના હતા અને મકરસંક્રાંતિ સ્નાન માટે નર્મદાપુરમ જઈ રહ્યા હતા.
ભોપાલ, નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.). મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બૈરસિયા વિસ્તારમાં બુધવારે રાત્રે ટ્રેક્ટર-ટ્રોલી, લોડિંગ વાહન સાથે અથડાતા પાંચ લોકોના મોત થયા હતા અને આશરે 12 લોકો ઘાયલ થયા હતા. બધા મૃતકો અને ઘાયલો વિદિશા જિલ્લાના સિરોંજના રહેવાસી હતા અને મકરસંક્રાંતિ ઉજવવા માટે હોશંગાબાદ જઈ રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બુધવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બૈરસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. બૈરસિયા પોલીસ સ્ટેશનના એસઆઈ વીરેન્દ્ર સેને જણાવ્યું હતું કે વિદિશા જિલ્લાના સિરોંજથી એક જ પરિવારના 15 સભ્યો લોડિંગ વાહનમાં હતા. તેઓ સંક્રાંતિ સ્નાન માટે નર્મદાપુરમ જઈ રહ્યા હતા. જ્યારે તેમનું વાહન બૈરસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સાંદીપનિ ઠાકુર લાલ સિંહ સ્કૂલ પાસે પહોંચ્યું, ત્યારે તે સામેથી આવી રહેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાયું. લોડિંગ વાહનને ભારે નુકસાન થયું હતું. ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રેક્ટરમાં સવાર 3 લોકો સહિત 12 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને બૈરસિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં, બૈરસિયા એસડીએમ આશુતોષ શર્મા, એએસપી નીરજ ચૌરસિયા, બૈરસિયા ટીઆઈ વીરેન્દ્ર સેન અને ધારાસભ્ય વિષ્ણુ ખત્રી મોડી રાત્રે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એસડીએમ શર્માએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ હાઇ સ્પીડ માનવામાં આવી રહી છે. જોકે, તપાસ બાદ જ વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
મૃતકોના નામ:
-લક્ષ્મીબાઈ અહિરવાર, ઉ.વ. 60
-મુકેશ અહિરવાર, ઉ.વ. 40
-બબલીબાઈ અહિરવાર, ઉ.વ. 60
-હરીબાઈ, ઉ.વ. 60
-દીપક અહિરવાર, ઉ.વ. 14
હિન્દુસ્થાન સમાચાર / નેહા પાંડે / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ