
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલી સુપ્રસિદ્ધ દાદા મહાવલી પીરની દરગાહમાં થયેલી 46 હજાર રૂપિયાની ચોરીના મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવાયું હતું.
આ ચોરી 14 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 10:30થી 15 ડિસેમ્બરના સવારે 06:30 કલાક દરમિયાન થઈ હતી. અજાણ્યા તસ્કરોએ દરગાહના મુખ્ય દરવાજાના તાળા અને નકુચા તોડી દાનપેટીમાંથી આશરે 46,000 રૂપિયાની રોકડ રકમ ચોરી હતી.
મુજાવર જાફરશા અબ્દુલશા ફકીરે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી અને રાહુલભાઈ હિંગોળજી ઠાકોર (ભદ્રિવાડી, બનાસકાંઠા) તથા સિદ્ધરાજભાઈ સુંડાજી ઠાકોર (ઉણ) ને ઝડપી પાડ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ