
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં માનવી અને પશુ વચ્ચેના આત્મીય સંબંધોનું અનેરું મહત્વ રહ્યું છે. આ પરંપરાને જીવંત રાખતું એક સુંદર દ્રષ્ટાંત બોખીરા મુકામે જોવા મળી રહ્યું છે. બોખીરા નિવાસી સવદાસભાઈ ઓડેદરા તથા ડિવાઈન પબ્લિક સ્કૂલ પરિવાર દ્વારા તેમના પ્રિય અશ્વ 'સ્વ. મોક્ષ 97' ની પાવન સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુથી આગામી તા.03/01/2026 શનિવારના રોજ રાત્રે 9:00કલાકે ડિવાઈન પબ્લિક સ્કૂલ, બોખીરા ખાતે એક ભવ્ય 'સંતવાણી’ (ડાયરા) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી એક અબોલ જીવને ભાવાંજલિ આપવામાં આવશે. આ ધાર્મિક અવસરે ભજન અને સંતવાણીની રમઝટ બોલાવવામાં આવશે. આથી, પોરબંદર અને આસપાસના વિસ્તારની સર્વ ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે ઉપસ્થિત રહી દિવ્ય ચેતનાને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમજ સંતવાણીનો લ્હાવો લેવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya