
જૂનાગઢ 3 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના બીલખા ખાતે જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જૂનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકાના કુલ ૩૦૦ થી વધુ પશુપાલકોએ લાભ લીધો હતો.
આ શિબિરના અધ્યક્ષ તરીકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા તમામ પશુપાલકોને વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન કરવા તથા સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના ઉદઘાટક તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર દ્વારા પશુપાલકોને પોતાની તંદુરસ્તી જાળવા તથા પશુપાલન થકી આર્થિક રીતે સધ્ધર બની પોતાના ગામ, રાજ્ય અને દેશની આર્થિક ઉન્નતિમાં યોગદાન આપવા માટે વૈજ્ઞાનિક પશુપાલન વ્યવસાય અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી. સાથે સાથે પશુપાલન ખાતાની યોજનાઓ અંગે માહિતી મેળવવા માટે જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભ પશુપસંદગી, પશુઆરોગ્ય, પશુપોષણ અને પશુસંવર્ધન વિશે વિગતવાર માર્ગદર્શન નાયબ પશુપાલન નિયામક ડો. ડી. ડી.પાનેરા અને ડો.એ.પી.ગજેરા દ્વારા આપવામાં આવ્યુ હતું. ઉપરાંત પશુપાલનને લગત પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવા બદલ જૂનાગઢ તાલુકા પશુદવાખાનાના ડો. સુરેશ દુધાત્રા, ડો. જુહી ચૌહાણ તેમજ તાલુકા પશુપાલન વિભાગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ