

મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામના ડીયોપપરામાં રહેતા લવજી નાથાજી ઠાકોર છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેમના પિતાજી વારંવાર કહેતા કે પહેલાના સમયમાં અનાજ અને કઠોળમાં જે સ્વાદ આવતો હતો, તે રાસાયણિક ખાતર પછી ગાયબ થયો છે. આ વાતથી પ્રેરાઈ લવજીભાઈએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ પસંદ કર્યો.
કુલ 7 વીઘા જમીનમાં તેઓ ગાયના છાણ આધારિત જીવામૃત, ઘન જીવામૃત, અગ્નિ અસ્ત્ર અને નિમાસ્ત્ર જેવી પ્રાકૃતિક પદ્ધતિઓથી ખેતી કરે છે. બહારથી કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક લાવવા પડતું નથી, જેના કારણે ખર્ચ ખુબ ઓછો રહે છે. તેઓ કહે છે કે પ્રાકૃતિક પદ્ધતિથી પાકમાં સ્વાદ અને મીઠાશ વધારે મળે છે.
બેથી અઢી વીઘામાં સીઝનલ શાકભાજી ઉગાડી તેઓ વાર્ષિક 2 થી 2.5 લાખ રૂપિયાની આવક મેળવે છે. ઘઉં 20 કિલોનો 2000 રૂપિયામાં, મગ 200 રૂપિયા પ્રતિ કિલો અને લીલા મરચાં 300 રૂપિયા પ્રતિ કિલો વેચી સારો ભાવ મેળવે છે. મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્રમાં દર ગુરુવારે રિટેલ વેચાણ કરીને તેઓ નફામાં વધારો કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આજે તેમના માટે આત્મનિર્ભરતા અને ગુણવત્તાયુક્ત જીવનનો આધાર બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR