
અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ ખાતે નવી માધ્યમિક શાળાનું લોકાર્પણ રાજુલા–જાફરાબાદ અને ખાંભા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદહસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, શિક્ષણવિભાગના અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવેસરથી તૈયાર કરાયેલી માધ્યમિક શાળાથી ભાકોદર તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ થશે. અગાઉ વિદ્યાર્થીઓને ઊંચું શિક્ષણ મેળવવા માટે દૂર જવું પડતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંનેનો બોજ વધતો હતો. હવે ગામમાં જ માધ્યમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળશે અને શૈક્ષણિક વિકાસને વેગ મળશે.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં શિક્ષણને વિકાસનો આધારસ્તંભ ગણાવી વિદ્યાર્થીઓને મહેનત અને સંકલ્પથી આગળ વધવા પ્રેરિત કર્યા હતા. ગ્રામજનોએ પણ શાળાના લોકાર્પણ બદલ આનંદ વ્યક્ત કરી શિક્ષણ ક્ષેત્રે થયેલા આ વિકાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. નવી શાળા વિસ્તારના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai