
સુરત, 02 માર્ચ (હિ.સ.): ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય-પૂર્વમાં હવાઈ સેવાઓ પર મોટી અસર પડી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ ઉડાનો પર પ્રતિબંધ મૂકતા સાઉદી અરેબિયા તરફ જતી અને આવતી ફ્લાઇટો રદ કરવામાં આવી છે. જેના પરિણામે સુરત જિલ્લાના 300થી વધુ યાત્રાળુ મક્કા અને મદીના ખાતે અટવાઈ ગયા છે.
માહિતી મુજબ, મોસાલી, કઠોર, ખોલવડ, કોસંબા, ઓલપાડ, માંગરોળ અને તડકેશ્વર સહિતના વિસ્તારોના લોકો રમઝાન પહેલાં ઉમરાહ માટે ગયા હતા. યાત્રા પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરવાના હતા, પરંતુ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિને કારણે તેમની વાપસી અટકી ગઈ છે.
મધ્ય-પૂર્વમાં તંગદિલી વધતા દુબઈ સહિતના મુખ્ય ટ્રાંઝિટ શહેરોમાં પણ ફ્લાઇટો રદ થઈ રહી છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. ભારત ખાતે રહેલા તેમના પરિવારજનો સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરી રહ્યા છે, છતાં અનિશ્ચિતતા વધતા ચિંતા વધી રહી છે.
હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો, સ્પાઇસજેટ અને આકાશા જેવી એરલાઇન્સની સેવાઓ અસ્પષ્ટ બની છે. તેથી સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યાત્રાળુઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે ખાસ વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે