


પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે “મિલેટ મહોત્સવ-2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 21/03/2026 થી 22/03/2026 સુધી યોજાઈ રહ્યું છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોમાં મિલેટ્સ (શ્રીધાન્ય)ના પૌષ્ટિક મહત્વ અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. મિલેટ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને મિલેટ પાકની ખેતી પદ્ધતિ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને બજાર સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત, મિલેટ પ્રદર્શન દ્વારા વિવિધ જાતના મિલેટ્સ તેમજ તેમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે લોકોએ ભારે રસપૂર્વક નિહાળ્યું. આ પ્રસંગે સ્થાનિક સ્વસહાય જૂથો અને મહિલાઓ દ્વારા બાજરા, જ્વાર વગેરેમાંથી બનાવવામાં આવેલી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું, જેને નાગરિકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો.
મહોત્સવને વધુ આકર્ષક બનાવવા માટે રાત્રે 9:00વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત અને સાંસ્કૃતિક કૃતિઓ કલાકારોએ રજૂ કરી હતી. નાગરિકોએ ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મિલેટ મહોત્સવ માત્ર આરોગ્ય જાગૃતિ પૂરતો સીમિત નથી, પરંતુ “સ્વસ્થ આહાર – સ્વસ્થ સમાજ”ના સંદેશ સાથે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને આ મહોત્સવમાં જોડાઈને મિલેટ્સના ઉપયોગને જીવનશૈલીમાં અપનાવવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya