
કોલકતા, નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.): પશ્ચિમ બંગાળમાં આવતા મહિને બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, મંગળવારે રાત્રે તેમના વિવિધ નફાકારક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું. આદર્શ આચારસંહિતા લાગુ થતાં અને ચૂંટણી પંચની દેખરેખ હેઠળ, આ પગલાને વહીવટી પારદર્શિતાના મુદ્દા તરીકે જોવામાં આવી રહ્યું છે. બેનર્જી દક્ષિણ કોલકાતાના ભવાનીપુરથી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર છે.
મુખ્યમંત્રીના આ હોદ્દાઓ પરથી રાજીનામા બાદ, રાજ્ય વહીવટીતંત્રે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્ય સચિવાલય, નબન્નાના એક સૂત્રના જણાવ્યા અનુસાર, સંબંધિત વિભાગોને તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારવા અને નિર્ધારિત સમયમર્યાદામાં આ સંદર્ભમાં રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ જે વિભાગોમાંથી નફાકારક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, તેમાં પર્યાવરણ વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, લઘુમતી બાબતોનો વિભાગ, વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમણે, પશ્ચિમ બંગાળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ જાહેર નીતિ અને આયોજન બોર્ડ જેવા સંગઠનોમાં પણ રાજીનામું આપ્યું છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને રાજ્ય મંત્રીમંડળના સભ્યના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ પારદર્શિતાનો સંદેશ આપવા માટે આ નિર્ણય લીધો હતો, જોકે તેમના માટે આવું કરવું ફરજિયાત નહોતું.
ભારતીય જનતા પાર્ટીએ, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીને ભવાનીપુરથી મુખ્યમંત્રી સામે મેદાનમાં ઉતાર્યા છે. શુભેન્દુ અધિકારી પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેઓ વર્તમાન ધારાસભ્ય છે અને બે વાર આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ