
પાટણ, 07 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 8ના રહીશોએ પાણીની તંગી અને રખડતા શ્વાનોના વધતા ત્રાસ મુદ્દે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલને લેખિત રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશો પાલિકા કચેરીએ પહોંચીને સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી.
રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં પાણીની ગંભીર સમસ્યા છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી ઓછા પ્રેશરથી અને અપૂરતું મળી રહ્યું છે, જેના કારણે ઘરકામ અને દૈનિક જરૂરિયાતો માટે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
આ ઉપરાંત, વોર્ડમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે. રસ્તાઓ પર રખડતા શ્વાનો દ્વારા હુમલા અને કરડવાના બનાવો સામે આવી રહ્યા હોવાથી બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રમુખ અનિતાબેન પટેલે રહીશોની રજૂઆત સાંભળી સમસ્યાઓના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ