
ભાવનગર, 01 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કેશ ક્રેડિટ કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કુલ ૧૩૮ સખી મંડળોને રૂ.૨૭૫ લાખની લોન સહાય વિતરણ કરવામાં આવી હતી.
તા.૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા કેમ્પોમાં ભાવનગર તાલુકાના શેઢાવદર ગામે ૧૨ સખી મંડળોને રૂ. ૧૫ લાખ, ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૨ સખી મંડળોને રૂ. ૨૪ લાખ, ઘોઘા તાલુકામાં ૫ સખી મંડળોને રૂ. ૧૬ લાખ, જેસર તાલુકાના તાતણીયા ગામે ૨ સખી મંડળોને રૂ. ૪ લાખ, મહુવાના કળસર ગામે ૧૨ સખી મંડળોને રૂ. ૨૩ લાખ, પાલીતાણા તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૬ સખી મંડળોને રૂ. ૫૭ લાખ, શિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૪ સખી મંડળોને રૂ. ૨૨ લાખ, તળાજા તાલુકાના કામનાથ મહાદેવ મંદિર ખાતે ૧૫ સખી મંડળોને રૂ. ૩૦ લાખ, ઉમરાળા તાલુકાના લીમડા ગામે ૭ સખી મંડળોને રૂ. ૧૨ લાખ તેમજ વલભીપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ૩૩ સખી મંડળોને રૂ.૭૪ લાખની લોન સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.કેમ્પ દરમિયાન સખી મંડળોની બહેનોને NRLM યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે બેંક અધિકારીઓ દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા, વ્યાજદર, સમયસર ચુકવણીના લાભો તેમજ અન્ય સહાયકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ લોન સહાય મહિલાઓને સ્વરોજગાર, નાના ઉદ્યોગો અને ઘર આધારિત વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરિત કરે છે, જેના કારણે પરિવારની આવકમાં વધારો થાય છે. સખી મંડળોની બચત અને આંતરિક ઋણ વ્યવસ્થા મજબૂત બનતાં ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળી રહી છે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ કેશ ક્રેડિટ કેમ્પો મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા મજબૂત પાયા પૂરો પાડી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT