
જામનગર, 01 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી, જ્યાં કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત કલેક્ટરે જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી તથા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થાય અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તંત્રના તમામ વિભાગો સાથે સંકલન સાધીને પારદર્શક અને ગતિશીલ વહીવટ પૂરો પાડવાની ખાતરી આપતા કલેક્ટર સાહેબે વિશેષરૂપે જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનાર કોર્પોરેશન, પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓ સંપૂર્ણ સફળતાથી અને સુચારૂ રીતે પાર પડે તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા રહેશે.
જનતાના કામોમાં ઝડપ લાવવા અને વહીવટને વધુ પ્રજાભિમુખ બનાવવાના સંકલ્પ સાથે તેમણે જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ પદભાર ગ્રહણ કરવાના પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt