
દમણ,16 એપ્રિલ (હિ.સ.) દમણ ખાતે પરિવહન વિભાગ (આરટીઓ) સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર સંબંધિત આક્ષેપોને આધારે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) દ્વારા બુધવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, એક વ્યક્તિએ નવું વાહન ખરીદી તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે આરટીઓ કચેરીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે આશરે 10 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અરજદારે સીબીઆઈ સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કર્યા બાદ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી દરમ્યાન દમણ આરટીઓ સાથે સંકળાયેલા અધિકારી વિપિન પવાર તેમજ તેમના સાથે સંકળાયેલા એક ખાનગી વ્યક્તિ સહિત કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે.- હજી સુધી સત્તાવાર રીતે આરોપોની પુષ્ટિ કરવામાં આવી નથી.
તે ઉપરાંત, અપુષ્ત સૂત્રો મુજબ મુંબઈથી આવેલી સીબીઆઈ ટીમે દમણ સ્થિત આરટીઓ કચેરી સહિત સંબંધિત કેટલાક સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ સર્ચ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, જે તપાસમાં પુરાવા તરીકે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સીબીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને પૂછપરછ દ્વારા એ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, આ મામલે અન્ય કોણ કોણ સંકળાયેલા હોઈ શકે. સાથે જ આક્ષેપોમાં કેટલું સત્ય છે તેની પણ ઊંડી તપાસ ચાલી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, સંબંધિત અધિકારી અગાઉ પણ વિવાદોમાં રહેલા હોવાની ચર્ચા છે, પરંતુ આ મુદ્દે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હાલ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા સત્તાવાર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ સ્પષ્ટ માહિતી બહાર આવવાની શક્યતા છે. આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે કડક વલણ દર્શાવતી મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha