
નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આજે કેરળમાં મેરા બૂથ સબસે મઝબૂત સંવાદ કાર્યક્રમમાં પાર્ટી કાર્યકરો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ સાંજે 4:30 વાગ્યે યોજાશે.
ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં મોદીએ કહ્યું કે, કેરળના લોકો ઉત્સાહપૂર્વક રાજ્યભરમાં ભાજપ-એનડીએને સમર્થન આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે જનતાએ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) બંનેના ખોખા વચનો જોયા છે.
તેમણે પોતાના સંદેશમાં લખ્યું કે, તેઓ આજે સાંજે 4:30 વાગ્યે યોજાનાર મેરા બૂથ સબસે મઝબૂત સંવાદ - કેરલમ કાર્યક્રમ માટે ઉત્સાહિત છે અને તેમાં ભાગ લેવા માટે આતુર છે.
આ કાર્યક્રમ પાર્ટી સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે પાયાના કાર્યકરોને સીધા વડા પ્રધાન સાથે જોડાવાની અને તેમના સૂચનો શેર કરવાની તક પૂરી પાડશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનો હેતુ બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાર્યકરોનું મનોબળ વધારવાનો છે.
કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન, કાર્યકરો સાથે સંગઠનાત્મક વિસ્તરણ, જનસંપર્ક અને કેન્દ્ર સરકારની યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના માર્ગો વિશે ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
કેરળ ભાજપ માટે એક મહત્વપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે, જ્યાં પાર્ટી સતત તેની સંગઠનાત્મક પકડ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે. તેથી, આવા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે, આ પહેલ પાર્ટીના કાર્યકરોને ટોચના નેતૃત્વ સાથે સીધી વાતચીત કરવાની તક આપીને સંગઠનાત્મક ઊર્જા વધારવાનો પ્રયાસ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ