

પાટણ, 24 એપ્રિલ (હિ.સ.) : હારીજ તાલુકાના કુકરાણા ગામે કેનાલ રોડ પર આવેલા ખેતી પ્લોટમાં શ્રી જહુ મેલડી માતાજીના નવનિર્મિત મંદિરમાં ભવ્ય ફોટોભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે માતાજીની સાથે પરિવારના ઈશ્વરદાદાની પણ ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે ૧૧ કુંડી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૪ દંપતીઓ યજ્ઞ યજમાન તરીકે જોડાયા હતા. સમગ્ર વિધિ આચાર્ય મહંત શાસ્ત્રીજી વિષ્ણુપ્રસાદ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી.
આ ભવ્ય મહોત્સવનું આયોજન કુકરાણા ગામના સમસ્ત પટેલ બલાત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આશીર્વચન માટે દેવ દરબાર ગઢના મહંત ઓગડનાથ ૧૦૦૮ બળદેવનાથ બાપુ અને અરીઠાના નરહરીદાસ બાપુ ઉપસ્થિત રહી શુભાશીષ આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ