


અમદાવાદ, 26 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘ ઔલખ દ્વારા આજે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
ચૂંટણી નિરીક્ષકએ સવારે એસ.પી.સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો સાથે વાત કરી હતી.મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ