


વલસાડ,26 એપ્રિલ (હિ.સ.) એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “ગુજરાત મોડેલ”ને વિકાસ અને સુશાસનનું પ્રતિક ગણાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના લવાછા, પિપરિયા અને કરમખલ જેવા વિસ્તારોમાં ગંદકીના ઢગલા આ દાવાઓની જમીની હકીકત સામે મૂકે છે.
આ વિસ્તારોમાં જ્યાં નજર કરો ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે. કચરાના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને નિયમિત સફાઈ પણ થતી નથી. રસ્તા કિનારે ફેલાયેલ ગંદકી વચ્ચે નાના બાળકો રમતા અને મવેશીઓ ખોરાક શોધતા નજરે પડે છે, જે સ્થાનિક પ્રશાસનની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે.
કેન્દ્ર અને રાજ્ય સ્તરે એક જ સરકાર હોવા છતાં, આવા વિસ્તારોમાં સ્વચ્છતાની હાલત પ્રશ્નાર્થ બની છે. ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ હોવા છતાં હકીકતમાં પરિસ્થિતિ નબળી જોવા મળે છે.
વરસાદી સીઝન નજીક આવી રહી છે. જો સમયસર કચરાનો નિકાલ નહીં થાય, તો પાણી ભરાવાની સાથે દુર્ગંધ અને રોગચાળો ફેલાવાનો ભય વધશે. સ્થાનિક લોકો માટે આ પરિસ્થિતિ આરોગ્ય સંકટમાં ફેરવાઈ શકે છે.
સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે પ્રશાસન તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન હાથ ધરે અને કચરાના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઉભી કરે. જનપ્રતિનિધિઓએ માત્ર દાવાઓ સુધી સીમિત ન રહી, જમીન પર કામ કરીને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે.
લોકોનું કહેવું છે કે જો હવે પણ ધ્યાન નહીં આપવામાં આવે, તો આ ગંદકી માત્ર દુર્ગંધ નહીં, પરંતુ પ્રશાસનની ઉદાસીનતાનું પ્રતિક બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha