
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) સુરતના હજીરા વિસ્તારમાં એક વધુ ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જેમાં 35 વર્ષીય બેંક કર્મચારીનું મોત થયું છે. અમરોલી વિસ્તારના નિવાસી વિપુલ પટેલ પોતાની બાઈક પર વેસુ તરફ જઈ રહ્યા હતા ત્યારે ONGC પેટ્રોલ પંપ નજીક એક ઝડપી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપીને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ડોક્ટરોએ તપાસ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
હજીરા રોડ પર ભારે ઉદ્યોગોના કારણે ટ્રકો અને કન્ટેનરોની અવરજવર સતત રહે છે. અનેક વખત બેફામ ગતિ અને ટ્રાફિક નિયમોની અવગણનાને કારણે આવા અકસ્માતો સર્જાતા રહ્યા છે. ONGC પેટ્રોલ પંપ નજીક અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે