તળાજા તાલુકામાં કેળાના પાકનું વધતું વાવેતર: ખેડૂતો માટે બન્યો આવકનો સશક્ત સ્ત્રોત
ભાવનગર, 27 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેળાના પાકનું વાવેતર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. બેલા, લાકડીયા, ચૂડી, માનાર, દિહોર અને રાજપરા જેવા ગામોમાં ખેડૂતો પરંપરાગત પાકોથી આગળ વધીને કેળાની ખેતી તરફ આકર્ષાઈ
કેળા


ભાવનગર, 27 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેળાના પાકનું વાવેતર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. બેલા, લાકડીયા, ચૂડી, માનાર, દિહોર અને રાજપરા જેવા ગામોમાં ખેડૂતો પરંપરાગત પાકોથી આગળ વધીને કેળાની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. આધુનિક કૃષિ પદ્ધતિઓ અને યોગ્ય માર્ગદર્શનને કારણે આ વિસ્તારમાં કેળાનું ઉત્પાદન સતત વધતું જોવા મળી રહ્યું છે.

ખાસ કરીને ડ્રિપ ઇરિગેશન પદ્ધતિનો વ્યાપક ઉપયોગ ખેડૂતો માટે લાભદાયક સાબિત થઈ રહ્યો છે. આ પદ્ધતિ દ્વારા પાણીની બચત થાય છે અને પાકને જરૂરી પ્રમાણમાં ભેજ મળી રહે છે, જેના કારણે કેળાની વૃદ્ધિ વધુ સારી રીતે થાય છે. સાથે સાથે ખાતર અને દવાઓ પણ સીધી જ મૂળ સુધી પહોંચાડવાની સુવિધા મળતા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન ગુણવત્તામાં વધારો થાય છે.

ખેડૂતોનો જણાવ્યા મુજબ, કેળાનો પાક યોગ્ય સંભાળ સાથે સારો નફો આપે છે. બજારમાં કેળાની માંગ સતત રહેતી હોવાને કારણે વેચાણમાં મુશ્કેલી આવતી નથી. ઉપરાંત, સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અને સહાયોથી ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવામાં પ્રોત્સાહન મળ્યું છે.

આ બદલાવને કારણે તળાજા તાલુકામાં કૃષિ ક્ષેત્રમાં નવી દિશા મળી રહી છે. ખેડૂતોની આવકમાં વધારો થવા સાથે તેમની જીવનશૈલીમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. આ રીતે કેળાની ખેતી તળાજા તાલુકાના ખેડૂતો માટે વિકાસનો મહત્વપૂર્ણ આધાર બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande