
મહેસાણા, 27 એપ્રિલ (હિ.સ.)હાલની અસહ્ય ગરમી અને લૂના વાતાવરણ વચ્ચે ઊંઝા APMC દ્વારા ખેડૂત ભાઈઓ અને શ્રમિકોને રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવા એ જ પરમો ધર્મ”ના સૂત્રને સાકાર કરતા યોજાયેલા આ સેવાકીય ઉપક્રમે માર્કેટ યાર્ડમાં આવનારા ખેડૂત પરિવારો અને દિવસ-રાત મહેનત કરતા પોર્ટર ભાઈઓને ગરમીમાં ઠંડક અને તાજગીનો અનુભવ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કડકડતી ગરમીમાં આવા સેવાભાવી પ્રયાસથી લોકોને રાહત મળી હતી અને સૌએ આ પહેલને સરાહનીય ગણાવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે ખેડૂત અને શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી આપણી પ્રાથમિક ફરજ છે અને આ નાનકડો પ્રયાસ તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ છે.
ઊંઝા APMC ટીમે હંમેશાની જેમ ખેડૂતો અને શ્રમિકોના હિત માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સામાજિક જવાબદારી નિભાવતા આવા કાર્યક્રમો સમાજમાં સેવાભાવ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આ ઉમદા પહેલથી માનવસેવાનો સંદેશ પણ પ્રસર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR