
જમ્મુ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ તાજેતરમાં લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના એક આંતરરાજ્ય આતંકી મોડ્યુલના પર્દાફાશ સાથે સંબંધિત કેસ પોતાના હાથમાં લીધો છે અને સોમવારે પૂછપરછ માટે બે પાકિસ્તાની નાગરિકો સહિત પાંચ ધરપકડ કરાયેલા આતંકવાદીઓને કસ્ટડીમાં લીધા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે 7 એપ્રિલે આતંકવાદ વિરોધી અભિયાનમાં અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરાયરા સહિત, પાંચ એલઈટી આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તે 16 વર્ષથી ફરાર હતો અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર ઠેકાણા બનાવવામાં સફળ રહ્યો હતો. અબ્દુલ્લા ઉપરાંત અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબ અને શ્રીનગરના ત્રણ રહેવાસી મોહમ્મદ નકીબ ભટ્ટ, આદિલ રશીદ અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામાની પણ આ મોટા અભિયાનમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની સાથે કેન્દ્રીય એજન્સીઓએ પણ ભાગ લીધો હતો.
તપાસમાં આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં સંડોવાયેલા એલઈટીના એક ઊંડા નેટવર્કનો ખુલાસો થયો છે. કેસની વધુ તપાસ માટે એજન્સીએ સોમવારે ધરપકડ કરાયેલા આતંકવાદીઓને જમ્મુ સ્થિત વિશેષ એનઆઈએ કોર્ટમાં રજૂ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટે પાંચેય આરોપી આતંકવાદીઓને એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે. બે પાકિસ્તાની નાગરિકોને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ સ્થાનિક આતંકવાદીઓને 15 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુમન લતા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ