
હિંમતનગર/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે વહેમમાં પતિએ બાળક-સાસુને માર્યા પત્ની ગંભીર, બે આરોપીઓની અટકાયત કરી.
સંગ્રામપુર ગામે પારિવારિક વહેમને કારણે ત્રિપલ મર્ડરની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી બે આરોપીઓની અટકાયત કરી છે.
શનિવારે રાત્રે શ્રવણ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન પર આડા સંબંધનો વહેમ રાખીને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનો બે વર્ષનો પુત્ર કમલેશ અને સાસુ જમનાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્ની કાંતાબેન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ, ગુસ્સે ભરાયેલા શ્રવણના ભાઈ ઈશ્વર ગમાર અને કાકી હળદી ગમારે શ્રવણ પર કુહાડી અને બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો, જેમાં શ્રવણનું પણ મોત થયું હતું.
આમ, આ સમગ્ર ઘટનામાં શ્રવણ ગમાર, તેમનો પુત્ર કમલેશ અને સાસુ જમનાબેન એમ ત્રણના મોત થયા છે.
શ્રવણની પત્ની કાંતાબેન ગંભીર હાલતમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ