
ગાંધીનગર,28 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે એવીએમ સુધી નથી પહોંચ્યો.
ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત પ્રદેશના નેતાઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય કામલં પહોંચ્યા છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરી પૂર્ણતાના આરે છે. રાજકારણના નિષ્ણાતો સ્થાનિક સ્વારજની ચૂંટણીને વિધાનસભા ચૂંટણી માટેની સેમીફાઇનલ ગણે છે. 26 એપ્રિલે ગુજરાત રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને ખાલી પડેલી 11 નગરપાલિકાની 13 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.
આ ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દબદબો દેખાઈ રહ્યો છે. આ સાથે સુરત મનપામાં આપનો સફાયો થયો છે અને ફરીથી ભગવો લહેરાયો છે. જ્યારે અમદાવાદની ઐતિહાસિક ખાડિયા બેઠક પર કોંગ્રેસેનો જાદુ ચાલ્યો છે. તો મહેસાણા કમલમનો પટાવાળાની જીત થઈ છે જ્યારે રાજકોટની ચર્ચિત આરજે આભાની હાર થઈ છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. સ્થાનિક સ્વરાજની મતગણતરીમાં પાંચ વાગ્યા સુધીમાં મહાનગરપાલિકા હોય કે, નગરપાલિકા કે જિલ્લા કે તાલુકા પંચાયત તમામમાં ભાજપ જીતી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ અને આપની સાથે સપા અને એઆઇએમઆઈએમ એ પણ થોડી બેઠકો પોતાના કબ્જે કરી છે.
ત્યારે આ ભવ્ય જીતની ઉજવણી માટે કમલમ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. આ દરમિયાન કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પત્રકાર પરિષદ યોજાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ