
નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) દેશમાં વધતા તાપમાન અને હીટવેવ (લૂ) ના પ્રકોપને જોતા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) એ, કડક વલણ અપનાવ્યું છે. આયોગે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સહિત 22 રાજ્યોના મુખ્ય સચિવોને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે. એનએચઆરસી અનુસાર, હીટવેવની વધતી જતી આવૃત્તિ અને તીવ્રતાની સૌથી ખરાબ અસર આર્થિક રીતે નબળા વર્ગો, સ્થળાંતરિત શ્રમિકો અને ઘરવિહોણા લોકો પર પડે છે. તેથી આયોગે સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે, તેઓ હીટવેવના જોખમોથી સામાન્ય લોકો, ખાસ કરીને નબળા વર્ગોના જીવનની રક્ષા માટે તાત્કાલિક અને અગમચેતીના પગલાં સુનિશ્ચિત કરે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, આસામ, સિક્કિમ, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
આયોગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) ના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે, વર્ષ 2019 થી 2023 વચ્ચે ભારતમાં હીટવેવના કારણે 3,712 લોકોના જીવ ગયા છે. આ આંકડાઓને ગંભીરતાથી લેતા આયોગે સરકારોને પૂછ્યું છે કે, આ વર્ષે જાનહાનિની સંખ્યા ઘટાડવા માટે કયા નક્કર પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આયોગે રાજ્યો પાસેથી રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીનો એકીકૃત રિપોર્ટ માંગ્યો છે. જેમાં રાહત ઉપાયોનું અમલીકરણ અને સમાવેશી આયોજન સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ