
સુરત, 29 એપ્રિલ (હિ.સ.) : સુરતના પાંડેસરા-બમરોલી વિસ્તાર પાસે તૃપ્તિ નગર નજીક એક ખાલી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં લાગી આવેલી આગે અચાનક વિકરાળ રૂપ ધારણ કર્યું. મળતી માહિતી મુજબ, પ્લોટમાં એકત્ર થયેલા કચરાને સળગાવવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને પવનના કારણે તે ઝડપથી ફેલાઈ ગઈ. થોડી જ વારમાં ધુમાડા અને જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ આગ નજીક રહેતા શ્રમિકોના ઝૂંપડાઓ સુધી પહોંચતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની તત્પરતા કારણે ઝૂંપડામાં રહેતા પરિવારોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે જાનહાનિ ટળી. છતાં, આગના કારણે ઝૂંપડાઓમાં રહેલી ઘરવખરી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાંબા પ્રયત્નો બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં અનેક ગરીબ પરિવારોનું રહેઠાણ બળી ગયું હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ સહાયની જરૂરિયાત ઉભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે