
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા જયશ્રીબેન પરમારે રાતડીમાં રહેતા રામભાઈ કેશવાલાને તેમનો દીકરો માન્યો છે. ગત તા. 24 એપ્રિલના રોજ રામભાઈ તેમના માનેલા માતા જયશ્રીબેનને મળવા પહોંચ્યા ત્યારે જયશ્રીબેને તેમને કબાટમાં રાખેલા દાગીના ચોરી થયા હોવાની વાત કરી હતી. રામભાઈએ પૂછતાં જયશ્રીબેને જણાવ્યું હતું કે ગત તા. 10 એપ્રિલના રોજ તેમણે દાગીના જોઈ કબાટમાં રાખ્યા હતા. ત્યાર બાદ થોડા દિવસો પૂર્વે બાથરૂમમાં પડી જતા દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓ પરત ફર્યા હતા પરંતુ હાલી ચાલી શકતા ના હતા. આ સમયે ઘણા સંબંધીઓ તેમની તબિયત પૂછવા ઘરે આવતા એટલે અવાર-નવાર દરવાજો ખુલ્લો રહેતો હતો જેથી કોઈ અજાણ્યા ઈસમે ફાયદો લઈ 5.50 લાખના દાગીનાની ચોરી કરી છે. આ મામલે રામભાઈએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદને આધારે અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya