
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ભાજપ પર મૂકેલા અતૂટ વિશ્વાસને બિરદાવવા મંત્રી મંડળે નાગરિકોનો અને મુખ્યમંત્રીનો આભાર માનતો અભિનંદન પ્રસ્તાવ પસાર કર્યો
ગાંધીનગર, 29 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય અને ઐતિહાસિક વિજય બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની જનતાએ ભાજપ પર મૂકેલા અતૂટ વિશ્વાસ અને મુખ્યમંત્રીના કુશળ માર્ગદર્શનને બિરદાવવા માટે મંત્રીમંડળના સભ્યો દ્વારા એક સુરે રાજ્યના નાગરિકોનો આભાર માનતો અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ પર મહોર મારીને ભાજપને પ્રચંડ જીત અપાવી છે.
રાજ્ય મંત્રી મંડળે કેબિનેટ બેઠકમાં પસાર કરેલો અભિનંદન પ્રસ્તાવ શબ્દશ આ મુજબ છે: ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો ઐતિહાસિક વિજય થયો છે. ગુજરાતની સાડા છ કરોડ જનતાએ કરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વિશ્વાસની મહોર મારી છે.
વિકાસની રાજનીતિ પર અવિરત ભરોસો રાખવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની સમગ્ર કેબિનેટ વતી રાજ્યના નાગરિકોનો હ્રદયપૂર્વક આભાર.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી અભૂતપૂર્વ વિકાસધારાનું સાક્ષી બન્યું છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામેગામ વીજળી પહોંચાડવાથી લઈને સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા સમગ્ર રાજ્યમાં કેનાલનું વિરાટ નેટવર્ક તૈયાર કરવા જેવા ભગીરથ કાર્યો તેમણે સાકાર કરી બતાવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વિઝનરી પહેલ અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ કક્ષાના ઉધોગોને પ્રોત્સાહન આપવાથી ગુજરાતે અદ્વિતીય ઔધોગિક વિકાસ સાધ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું ઊર્જાદાયી માર્ગદર્શન પણ ગુજરાતને સતત મળતું રહ્યું છે. મોદીજીએ કેન્દ્રમાં દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શરૂ કરેલી વિકાસયાત્રાને ગુજરાતે અવિરત જાળવી રાખી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યના વિકાસને નવું જોમ અને ગતિ આપ્યા છે. માનનીય મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' મંત્રને ગુજરાતે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના હોય કે સ્વનિધિ યોજના -ગુજરાતે યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને એક પણ લાભાર્થી તેનો લાભ મેળવવાથી બાકાત ન રહે તે સુનિશ્ચિંત કર્યું છે.
ગુજરાતે તેની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ સુદૃઢ બનાવી છે. આજે ગુજરાત સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી સહિતના ઇમજિંગ સેક્ટર્સમાં સમગ્ર દેશમાં લીડ લઇ રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાના પગલે પ્રાદેશિક કક્ષાએ પણ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન ગુજરાતે હાથ ધર્યું છે, જેનો મોટો લાભ રાજ્યની જનતાને થયો છે.
આજે જ્યારે કેન્દ્ર સરકારે લખપતિ દીદી, ડ્રોન દીદી, નારીશક્તિ વંદન અધિનિયમ, કિસાન સન્માન નિધિ, પીએમ વિશ્વકર્મા યોજના, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ અને પહેલ દ્વારા દેશની માતાઓ-બહેનો, અન્નદાતાઓ તેમજ દેશના ગરીબ, પીડિત, વંચિત લોકોના સન્માનને વધાર્યું છે, ત્યારે ગુજરાતે પણ આ યોજનાઓના અમલીકરણમાં અનુસરણીય કામગીરી કરી બતાવી છે.
વર્ષ 2025ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવીને ગુજરાતે અર્બન ડેવલપમેન્ટના નવા શિખરો સર કર્યા છે. જે અંતર્ગત હજારો કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરાયા છે. તેવી જ રીતે, કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળવાના લીધે રાજ્યમાં સ્પોર્ટ્સ સેક્ટરનો નવો યુગ શરૂ થયો છે. તેના પરિણામરૂપે, આ ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે.
વાત મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હોય કે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવાની, ગુજરાતે ગ્રામીણ વિકાસને નવા આયામ આપ્યા છે. ગુજરાતના ગામડાઓમાં હવે સૌરક્રાંતિ થઈ રહી છે. ગામડાઓ સોલાર વિલેજ બની રહ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે. ખેડૂતો જમીનની લેવડદેવડ સરળતાથી કરી શકે તે માટે મહેસૂલી નિયમોનું સરળીકરણ કરવામાં આવ્યું છે. કુદરતી આપત્તિની સ્થિતિમાં સતત ધરતીપુત્રોની પડખે રહીને રાજ્ય સરકારે ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કર્યા છે.
સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતાના આદર્શોને આત્મસાત કરીને ભાજપ સરકારે સમાજના પીડિત, વંચિત વર્ગોના કલ્યાણની સરવાણી વહાવી છે. સરકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC સમાજનું પ્રતિનિધિત્વ વધાર્યું છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 3. 6 લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ માનવ ગરિમા યોજના, ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા સમરસ હોસ્ટેલ જેવી યોજઓનો લાભ પ્રત્યેક લાભાર્થી પરિવારોને મળે તે સુનિશ્ચિત કર્યું છે.
આ ઉપરાંત, ભાજપ સરકારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવીને આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે. તેમજ જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓથી આદિવાસી સમાજ ઉજ્જવળ ભવિષ્યના પંથે આગળ વધ્યો છે. આ કારણે ગુજરાતની ગ્રામીણ જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્નેહભર્યું સમર્થન આપીને વિજયી બનાવી છે.
ગુજરાતની જનતાએ છેલ્લા અઢી દાયકાથી વધુની આ સફરને સતત પોતાનો સાથ-સહકાર આપ્યો છે અને આપતી રહેશે. સાચું શું છે અને ખોટું શું છે તે ગુજરાતની જનતા ઓળખી ચૂકી છે. માત્ર અને માત્ર વિકાસને જ સમર્થન આપીને ગુજરાતની જનતાએ પોતાની સૂઝ અને સમજના દર્શન કરાવ્યા છે. રાજ્ય મંત્રીમંડળ જનતાના આ ભરોસાને ઋણસ્વીકાર સહ નમન કરે છે. આ અતૂટ ભરોસાનું વળતર ભાજપ સરકાર ઉત્તરોત્તર વધુને વધુ વિકાસ દ્વારા આપશે.
રાજ્યના પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સુવિધા અને સમૃદ્ધિ લાવવા ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કર્તવ્યરત છે, અને રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું મહાન વિઝન દેશ સમક્ષ મૂક્યું છે, ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં આ વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવા ટીમ ગુજરાત પ્રતિબદ્ધ છે.
ફરી એકવાર ગુજરાત રાજ્ય મંત્રીમંડળ વતી રાજ્યની જનતાનો ખૂબ ખૂબ આભાર.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ