
દાહોદ/અમદાવાદ, 30 એપ્રિલ (હિ.સ.) : હમણાં ગુજરાતમાં ગરમી વધુ પડી રહી છે ત્યારે પશુ પક્ષી સલામત સ્થળ શોધતા હોય છે. ચામાચીડિયાઓ સામાન્ય રીતે વર્ષ દરમિયાન ગરમીનો પારો વધે છે, તેમ તેમ તેઓ ઠંડકની શોધમાં તળાવની એકદમ નજીક આવેલા વૃક્ષો પર સ્થળાંતર કરે છે. અમદાવાદમાં પણ આવેલ ગુજરાત કોલેજ કમ્પાઉન્ડના તેમજ કાંકરિયા તળાવની આજુબાજુના ઘટાદાર વૃક્ષો પર આખું વર્ષ મોટી સંખ્યામાં ચામાચીડિયાઓ જોવા મળે છે.
દાહોદ શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ તળાવ હાલમાં પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો માટે કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તળાવના કિનારે આવેલા ઘટાદાર વૃક્ષો પર વિશાળ સંખ્યામાં ચામાચીડિયાઓએ ડેરો જમાવ્યો છે.
આ ચામાચીડિયાઓ સામાન્ય રીતે વર્ષ દરમિયાન દાહોદની આસપાસના અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. પરંતુ જેમ જેમ એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો વધે છે, તેમ તેમ તેઓ ઠંડકની શોધમાં તળાવની એકદમ નજીક આવેલા વૃક્ષો પર સ્થળાંતર કરે છે.
પાણીની ઉપલબ્ધતા અને વૃક્ષોની છાયા તેમને આકરી ગરમી સામે રક્ષણ આપે છે.
પર્યાવરણ પ્રેમીઓના મતે, ઉનાળામાં તળાવનું જળસ્તર ઘટતા કિનારાનો ભાગ ખુલ્લો થાય છે. જેના કારણે ત્યાં મચ્છરો અને નાના ઉડતા કીટકોની સંખ્યામાં ભારે વધારો થાય છે. ચામાચીડિયાઓ માટે આ કીટકો મુખ્ય ખોરાક હોવાથી તેમને અહીં ખોરાક મેળવવામાં ઘણી સહજતા રહે છે.
રાત્રિના સમયે કીટકોની વધતી સક્રિયતાને કારણે આ વિસ્તાર તેમના માટે ‘હબ' બની જાય છે. તળાવ કિનારે મળતા ખોરાક, પાણી અને રહેઠાણ આ ત્રણેય પરિબળો એકસાથે હોવાથી આ સ્થળ ચામાચીડિયાઓ માટે આદર્શ નિવાસસ્થાન બન્યું છે. ચામાચીડિયા હાનિકારક કીટકોનું ભક્ષણ કરીને પર્યાવરણના સંતુલનમાં અને રોગચાળો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ