
ગીર સોમનાથ 30 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા તિજોરી મારફત પેન્શન મેળવતા ગીર સોમનાથ જીલ્લાના પેન્શનરોને પેન્શન શરૂ રાખવા માટે ૧ મે થી ૩૧ જુલાઇ ૨૦૨૬ સુધીમાં વાર્ષિક હયાતી ખરાઇ કરાવવી અનિવાર્ય છે. જો આ સમયગાળામાં ખરાઇ નહિ કરાવવામાં આવે તો ઓગસ્ટથી પેન્શન અટકાવવામાં આવશે.
કુટુંબ પેન્શન મેળવનાર પેન્શનરોએ પુન:લગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર પણ હયાતિ ખરાઇના ફોર્મ સાથે જોડવાનું રહેશે. ૫૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ છે. તેમજ દિવ્યાંગ પેન્શનરોએ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તથા સક્ષમ સતાધિકારીનો વાર્ષિક આવકનો દાખલાની નકલ હયાતિના ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે.
સરકાર દ્વારા પેન્શનર/કુટુંબ પેન્શનરો કોઇ કચેરી/બેંકની મુલાકાત લીધા સિવાય રહેઠાણના સ્થળે ભારતીય ટપાલ વિભાગ દ્વારા હયાતિની ખરાઈ પોસ્ટમેન/ગ્રામિણ ડાક સેવક મારફતે ધર આંગણે કરાવી શકાય છે. પેન્શનરો જીવન પ્રમાણ પોર્ટલ/મોબાઈલ એપ્લિકેશન પર આધાર નંબરથી લોગિન કરી ઓનલાઈન હયાતિની ખરાઈ કરાવી શકે છે. એમ જિલ્લા તિજોરી અધિકારી એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ