
- રાજ્યના 207 જળાશયોમાં 60 ટકા જળસંગ્રહ.
રાજકોટ, 30 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં એક તરફ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં 36 ટકા જ જથ્થો,ચોમાસુ ખેંચાય તો સૌની યોજના એકમાત્ર સહારો રહેશે.
રાજ્યમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60 ટકા જળસંગ્રહ થયેલો છે. જો કે, સૌરાષ્ટ્રના જાળાશયોમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં 36 ટકા જ જથ્થો બચ્યો હોય ચિંતાજનક સ્થિતિ છે. જો આગામી ચોમાસુ મોડુ બેસે તો આ બંને ઝોનમાં પાણીની ખેંચ પડી શકે છે અને આ ઝોન જિલ્લાઓમાં સરકારે સૌની યોજનાથી વધુ પાણી પહોંચાડવું પડી શકે છે.
જળાશયોની ક્ષમતા મુજબની સ્થિતિ પર નજર કરીએ તો માત્ર 2 જળાશયો 100% કે તેથી વધુ ભરાયેલા છે. 70% થી 100% વચ્ચે 19 જળાશયો છે, જ્યારે 50% થી 70% વચ્ચે 51 જળાશયો છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે 80 જળાશયોમાં 25% થી પણ ઓછું પાણી બચ્યું છે, જે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધારવાની સંભાવના દર્શાવે છે.
હાલની સ્થિતિ ગયા વર્ષની સરખામણીએ થોડી સારી માનવામાં આવી રહી છે.
29 એપ્રિલ 2025ના રોજ રાજ્યમાં 51.67% પાણીનો જથ્થો હતો, જ્યારે આ વર્ષે તે વધીને 60.32.90% થયો છે, એટલે કે લગભગ 9નો વધારો નોંધાયો છે.
આંકડા દર્શાવે છે કે રાજ્યમાં પાણીની સ્થિતિ હજી નિયંત્રણમાં છે, પરંતુ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાણી સંકટની શક્યતા યથાવત છે. આગામી સમયગાળામાં વરસાદ પર રાજ્યની સ્થિતિ નિર્ભર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ