
સુરત, 30 એપ્રિલ (હિ.સ.) : શહેરમાં એક બાજુ આગ ઝરતી ગરમી પડી રહી છે. લૂ લાગવાના તેમજ તાવના કેસો પણ સામે આવી રહયા છે. દરમ્યાન અમરોલી વિસ્તારમાં રહેતા અને અઠવાડિયાથી કમળામાં સપડાયેલા યુવાનનું આજે વહેલી સવારે અચાનક બેભાન થયા બાદ તે મોતને ભેટ્યો હતો. એટલું જ નહીં આ બનાવમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ યુવકનું દેશી પદ્દત્તિથી કમળાની સારવાર ચાલી રહી હતી દરમ્યાન તે બેભાન થયો અને તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં આવતીકાલે તે પોતાના વતન ખાતે જવાનો હતો પરંતુ તે પહેલા જ તેનું મોત થઇ જતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો 18 વર્ષીય યુવાન મહેશ્વર રોમન રોય આજે વહેલી સવારે 6 વાગ્યે અચાનક બેભાન થઇ ગયો હતો તેના મામા વિષ્ણુ રોય તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. વધુમાં વિષ્ણુ રોયે જણાવ્યું હતું કે તેઓ મૂળ અસમના વતની છે. મહેશ્વર તેમની સાથે અંજની ઇન્ડસ્ટ્રીઝ રહેતો હતો અને ત્યાં જ લૂમ્સના કારખાનામાં કામ કરીને વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યો હતો.તેને અન્ય એક ભાઈ અને એક બહેન છે. તેઓ વતન ખાતે રહે છે, મહેશ્વરને અઠવાડિયાથી કમળો થયો હતો. અમે દેશી રીતે તેની સારવાર કરાવી રહ્યા હતા.રાત્રે તે સુઈ ગયો હતો પરંતુ આજે સવારે અચાનક બેભાન મળી મળી આવ્યો હતો,જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ તેનું મોત થઇ ગયું. એટલું જ નહીં તેની તબિયતમાં થોડો સુધારો આવ્યો હતો જેથી આવતીકાલે તે વતન જવાનો હતો પરંતુ તે પહેલા તેનું મોત થઇ ગયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે