
પાટણ, 27 મે (હિ.સ.)પાટણના ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મંદિર માં અધિક માસની અગિયારસ નિમિત્તે ભગવાનને ₹1.51 લાખની ચલણી નોટોથી ભવ્ય આંગી અર્પણ કરવામાં આવી હતી. ₹5 થી ₹500 સુધીની નોટોથી કરાયેલા આ દિવ્ય શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે 65 બહેનોએ અગિયારસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. ઉત્તર ગુજરાતમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું આ એકમાત્ર સ્વયંભૂ મંદિર હોવાથી અધિક માસ દરમિયાન અહીં વિશેષ ધાર્મિક મહત્ત્વ રહે છે.
અખાડાના મહંત ખોડાગીરી મહારાજ એ જણાવ્યું કે સમગ્ર અધિક માસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરરોજ સવારે 9 વાગ્યે કથા અને સાંજે ભવ્ય મહાઆરતી યોજાય છે. ઉપરાંત, 15 જૂને ભવ્ય અન્નકૂટ દર્શન યોજાનાર હોવાથી ભક્તોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ અપાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ