
જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક આવેલા જાયવા ગામ પાસે સીએનજી પંપ નજીક એક અલ્ટો કારમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ ગેસ પુરાવવા માટે આવેલી કારમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે પંપ પર હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા જ સીએનજી પંપના સ્ટાફ તેમજ સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં અલ્ટો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઘટનાના પગલે થોડા સમય માટે હાઈવે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક અનુમાન મુજબ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt