
ભાવનગર, 29 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતો હોય પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાક તેમજ શાકભાજી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે પરંપરાગત પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અનેક ખેડૂતો ટૂંકા સમય ગાળામાં તૈયાર થતા શાકભાજી પાકો જેવા કે તુરીયા, કાકડી, દુધી, કારેલા, ભીંડો ગુવાર વગેરે પાકોનું વાવેતર ખેડૂતો કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન ટૂંકા સમય ગાળામાં મેળવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ખેડૂત બારૈયા જયસુખ રાજાભાઈએ પરંપરાગત ખેતીની સાથે નવી દિશામાં આગળ વધી શાકભાજીની મિશ્ર ખેતી અપનાવી સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી શાકભાજી પાકોની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.હાલ તેઓ ચાર વીઘા જેટલી જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે. જેમાં ભીંડો, ગુવાર, ચોળી, કાકડી, તુરીયા તેમજ સરગવાના પાકનો સમાવેશ થાય છે.એક વીઘા જમીનમાંથી અંદાજે રૂપિયા 1.30 લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે. તેમની સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
આ અંગે બારૈયા જયસુખ રાજાભાઈએ જણાવ્યું કે હું છેલ્લા આઠ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું. હાલને મિશ્ર પાકમાં ચાર વીઘા જેટલી જમીનમાં અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરેલું છે જેમાં ભીંડો, ગુવાર, ચોળી, કાકડી, તુરીયા અને સાથે સરગવાનું પણ વાવેતર કરેલું છે. સૌપ્રથમ જ્યારે શાકભાજી પાકોનું વાવેતર કરવા માટે જમીન તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં પુષ્કળ પ્રમાણમાં છાણીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જીવામૃત વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ઉત્પાદન ખૂબ સારું મળી રહે.
હાલ જોઈએ તો પરંપરાગત પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળી રહ્યું નથી જેથી મેં નક્કી કર્યું અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી શાકભાજી પાકોનું વાવેતર કરી રહ્યો છું. ખાસ તો શાકભાજીનો પાક જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ જાય છે ત્યારે તેમાંથી રોજના માટે રોકડી આવક મળી રહે છે. આ શાકભાજી નું વેચાણ હું પોતે જ કરી રહ્યો છું જેસર શહેરમાં મારી પોતાની શાકભાજીની દુકાન છે. એક વીઘા માંથી મને 1,30,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA