
જામનગર, 29 મે (હિ.સ.) :
જામનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના ચુસ્ત અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા પંચાયત જામનગર ખાતે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા અટકાવવા વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા માટેના એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં ગત મીટિંગના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેના પર લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સમિતિ સમક્ષ આવેલા વિવિધ પ્રસ્તાવો અન્વયે ક્લિનિક્સને નવા રજીસ્ટ્રેશન આપવા, કાર્યરત ક્લિનિક્સના રજીસ્ટ્રેશનનું રિન્યુઅલ કરવા તેમજ સંબંધિત એજન્સીઓને નિયમાનુસાર રજીસ્ટ્રેશન આપવા બાબતે સર્વાનુમતે નિર્ણયો લેવાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરતા અથવા માપદંડો પૂર્ણ ન કરતા કેન્દ્રોના રજીસ્ટ્રેશન કેન્સલ કરવા અંગે પણ કાયદાકીય જોગવાઈઓ મુજબ ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં ક્લિનિક વેરિફિકેશન રિવ્યુ અંતર્ગત જિલ્લામાં ચાલતા સેન્ટરોની તપાસણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ એક્ટના રૂલ્સ-૧૩ અન્વયે કાયદાકીય પ્રક્રિયાઓ માટે નવા તબીબોની નિમણૂંક કરવા જેવા મહત્વના વહીવટી વિષયો પર પણ સભ્યો દ્વારા ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ, ડો. આર. બી. ગુપ્તા તેમજ સમિતિના અન્ય સરકારી અને બિન-સરકારી સભ્યો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt