
જામનગર, 29 મે (હિ.સ.) : જામનગર જિલ્લાના જામવંથલી ગામે 78 વર્ષના દલિત જ્ઞાતિના બુઝુર્ગ વ્યક્તિ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ભુરાલાલ મેઘજીભાઈ પરમાર (ઉ.વ.78, રહે. આંબેડકર ભવન, જામવંથલી)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ અગાઉ થયેલી બોલાચાલી અને પોલીસ કાર્યવાહીનો ખાર રાખી આરોપી પારસ દિનેશભાઈ સોલંકી દ્વારા ફરીયાદીને ધમકી આપવામાં આવી હતી.
બાદમાં જામવંથલી ગ્રામ પંચાયત પાસે આરોપી ભરતસિંહ જાડેજા મોટરસાયકલ લઈને આવી ફરીયાદી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરીયાદીના જમણા પગમાં ફેક્ચર સહિત હાથના અંગૂઠામાં ઇજા પહોંચી હતી.
ફરિયાદ મુજબ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હુમલો કર્યો હોવાનું જણાવાયું છે. આ બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 117(2), 351(2), 54 તેમજ એટ્રોસિટી એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt