
પાટણ, 29 મે (હિ.સ.) : પાટણ ડાક વિભાગે જનસુવિધાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય ડાક વિભાગના “ડાક સેવા જનસેવાય” સૂત્રને સાર્થક કરવા માટે રવિવાર, 31 મે 2026ના રોજ પણ આધાર સેવા કેન્દ્રો કાર્યરત રહેશે. પાટણ હેડ પોસ્ટ ઓફિસ, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ પોસ્ટ ઓફિસ ખાતેના આધાર કેન્દ્રો સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જનતાની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના પ્રવેશ, સરકારી યોજનાઓ, બેંકિંગ, મોબાઈલ સિમ વેરિફિકેશન અને શિષ્યવૃત્તિ જેવી સેવાઓમાં આધાર કાર્ડની વધતી જરૂરિયાતને કારણે આ નિર્ણય લેવાયો છે. નોકરીયાત લોકો, વેપારીઓ, મહિલાઓ, વડીલો અને વ્યસ્ત નાગરિકોને આથી મોટી રાહત મળશે. આધાર કેન્દ્રોમાં નવા આધાર કાર્ડ માટે નોંધણી, નામ-સરનામું-જન્મ તારીખમાં સુધારા, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ અપડેટ તેમજ બાયોમેટ્રિક અપડેટ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. બાળકો માટે ફરજિયાત મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) પણ કરવામાં આવશે.
UIDAIના નિયમો મુજબ 5 વર્ષ અને 15 વર્ષ પૂર્ણ કરનાર બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. સમયસર અપડેટ ન કરાવવાથી શાળા પ્રવેશ, DBT લાભ, સ્કોલરશિપ અને બેંકિંગ સેવાઓમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. UIDAI મુજબ નવા આધાર નોંધણી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જ્યારે આધાર વિગતોમાં સુધારા માટે ₹75 અને બાયોમેટ્રિક અપડેટ માટે ₹125 ફી નક્કી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ