

- 913 વર્ષ જૂની ધરોહરના પુનઃસ્થાપનથી ઇતિહાસ ફરી થયો સજીવ
વડોદરા,30 મે (હિ.સ.) વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલું વડજ ગામ ઐતિહાસિક વડજની વાવ માટે જાણીતું છે. જે આશરે 913 વર્ષ જૂનો વારસો ધરાવે છે અને હાલમાં તેના સંરક્ષણ તથા પુનઃસ્થાપનના પ્રયાસોને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન તેમની માતા મીનળદેવીના માર્ગદર્શન હેઠળ આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ વાવનો મુખ્ય હેતુ સૈનિકો અને સ્થાનિક લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાનો તેમજ જળસંચય અને લોકકલ્યાણને પ્રોત્સાહન આપવાનો હતો.
આ ઐતિહાસિક ધરોહરની મૂળ ઓળખને જાળવી રાખવા અને તેને પુનર્જીવિત કરવા માટે સંરક્ષણ તથા પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ડભોઈથી આશરે 8 કિલોમીટર દૂર આવેલી વડજની વાવ તેની વિશિષ્ટ નંદા શૈલીની સ્થાપત્યકળા માટે પ્રસિદ્ધ છે, જે તે સમયની ઇજનેરી કુશળતા અને કળાત્મક કારીગરીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.
વાવના પુનઃસ્થાપન કાર્યમાં અશ્વિનકુમાર કનૈયાલાલ પટેલના પ્રયત્નો મહત્વપૂર્ણ રહ્યા હતા. જેમની વારસા સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠાએ આ ઐતિહાસિક સ્મારકને ફરી જીવંત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રખ્યાત શિલ્પકાર વીરેન્દ્ર પંચાલએ પણ તેમની કળાત્મક કુશળતા અને કારીગરી દ્વારા પુનઃનિર્માણ પ્રક્રિયામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
સ્થાપત્ય મહત્વ ઉપરાંત વડજની વાવ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં રાંદલ માતા, ખોડિયાર માતા અને વહાણવટી માતાનું સ્થાન આવેલું છે. આજે આ વાવ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, આધ્યાત્મિકતા,સાંસ્કૃતિક એકતા અને અવિનાશી વારસાનું પ્રતિક બનીને ભૂતકાળ અને વર્તમાનને સંરક્ષણના માધ્યમથી જોડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ