
- દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2,400થી વધુ મૅડિકલ પ્રૉસિજરનો સમાવેશ ,PM-JAY યોજના હેઠળ 1,981 હોસ્પિટલ આવરી લેવાઈ
- કેન્દ્રના સહયોગથી ગુજરાતે આયુષ્માન વીમા કવચ વધારીને વાર્ષિક ₹10 લાખ કર્યું : પ્રફુલ પાનશેરીયા,
ગાંધીનગર,10 જૂન (હિ.સ.) ગુજરાતમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યારસુધીમાં કુલ 2.79 કરોડ આયુષ્યમાન કાર્ડધારકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે, તેમ ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં પીએમજેવાય યોજના હેઠળ રાજ્યમાં કુલ 1,981 હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 1,112 સરકારી અને 869 ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે.
નોંધપાત્ર બાબત એ છે ક દર્દીઓને મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી યોજના અંતર્ગત 2,400 થી વધુ નાની-મોટી મેડિકલ પ્રોસિજર-સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે, ગુજરાતે પીએમજેવાય અંતર્ગત સુરક્ષા વીમા કવચની રકમ રૂ. 10 લાખ કરી સમગ્ર દેશમાં સિમાચિહ્નરૂપ કામ કર્યું છે. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર નાગરિકોને ઉત્તમ આરોગ્યસેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ‘PMJAY યોજના’ હેઠળ ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેમાં હૃદય રોગની 6 લાખથી વધુ સર્જરીના ક્લેઇમ અંતર્ગત લાભાર્થીઓને રૂ.4252.28 કરોડની સહાય-રકમ ચૂકવાઈ છે.
આ ઉપરાંત, 12 હજારથી વધુ દર્દીઓને કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ.74.65 કરોડ તેમજ 7 લાખથી વધુ દર્દીઓને ડાયાલિસિસ માટે રૂ.1465.84 કરોડની સહાય-રકમ અપાઈ છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી, સર્જીકલ ઓન્કોલોજી અને રેડિયેશન માટે 17 લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 4016.42 કરોડની સહાય આપવામાં આવી છે. આરોગ્યસેવાથી કોઈ વંચિત ન રહે તેવા ધ્યેયમંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે શ્રવણશક્તિની તકલીફ ધરાવતા 124 બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા પૂરી પાડી છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 5 કરોડ જેટલો થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ