

પાટણ, 10 જૂન (હિ.સ.)પવિત્ર અધિક માસ દરમિયાન પાટણના સોનીવાડામાં આવેલા શ્રી ગોપીનાથજી ભગવાનના મંદિરમાં દરરોજ વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને મનોરથનો લાભ લઈ રહ્યા છે, જેના કારણે મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
લગભગ દોઢસો વર્ષ જૂનું આ મંદિર ગુરુ બ્રહ્મલીન 1008 ચંદ્રવદન મહારાજા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. હાલમાં તેમની ત્રીજી પેઢી મંદિરની સેવા અને પરંપરાનું સંચાલન કરી રહી છે. મંદિરમાં રામજી પ્રભુ, કૃષ્ણ ભગવાન અને નાના લાલજીની પ્રતિમાઓ બિરાજમાન છે.
મંદિરમાં વર્ષ દરમિયાન રામ નવમી, નંદ ઉત્સવ, રથયાત્રા, કુંજગલી અને અન્ય ધાર્મિક મનોરથો યોજાય છે. અધિક માસ અને શ્રાવણ મહિનામાં વિશેષ મનોરથો તેમજ હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ