

પોરબંદર, 10 જૂન (હિ.સ.)પોરબંદર એસ.ઓ.જી.ને ઓડદર ગામ નજીક આવેલા રંગબાઈ માતાજીના મંદિર પાસેથી દરિયાકિનારાના વિસ્તારમાંથી ચરસ (હશિશ)નો બિનવારસી જથ્થો મળી આવ્યો છે. બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 2 કિલો 232 ગ્રામ મારીઝુઆના હસીસ ચરસ કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 5,58,000 હોવાનું જણાવાયું છે.
જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોરબંદરની ટીમ દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતી ત્યારે ઓડદર ગામ નજીક રંગબાઈ માતાજીના મંદિર પાસે દરિયાકિનારે મારીઝુઆના હસીસ ચરસના શંકાસ્પદ બે પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતાં તેમાં ચરસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર બનાવમાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ ચરસનો જથ્થો દરિયાના માર્ગે તણાઈને કિનારે પહોંચ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ સંકળાયેલું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોરબંદર પોલીસ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સાથે જ માછીમારો અને સ્થાનિક લોકોને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે પેકેટ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya