
સોમનાથ,11 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં 12 વર્ષ અવિરત વિકાસ અને જનકલ્યાણના' અભિયાન અન્વયે ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.
હિરણ, કપિલા અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણી ઘાટ પર સોમપુરોહિતોના મંત્રોચ્ચાર સાથે સમૂહ આરતી કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના 12 વર્ષ પૂરા થયાં છે તે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા તીર્થસ્થાનો પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રિવેણી ઘાટ પર પ્રભાસની પાવનભૂમિ પર આ આરતીમાં સહભાગી થવું એ આપણાં સૌનું સૌભાગ્ય છે.
વિશેષ આરતી અને પૂજા દ્વારા દેશની સુખ-સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાંજના સમયે સંધ્યા આરતી દરમિયાન સમગ્ર ત્રિવેણી પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આરતીના દર્શન કર્યા હતાં.
આ મહાઆરતીમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, મહેન્દ્ર પીઠિયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ધારાસભ્ય ભગવાન બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહિલ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, અગ્રણી ડૉ.સંજય પરમાર, ઝવેરી ઠકરાર, ભાવના હીરપરા, અનિલ જેઠવા સહિતના સામાજિક-રાજકીય અગ્રણીઓ, કાર્યકરો, સમાજના આગેવાનો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો સહભાગી બન્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ